Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

ભારતીય ક્રિકેટના ઉગતા સ્ટાર વૈભવ સૂર્યવંશી માટે જીવનની સૌથી મોટી ક્ષણ આવી પહોંચી છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે જે સપનું બાળપણથી જોયું હતું, તે હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી બે મેચની T20 શ્રેણી માટે વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે અને હવે તેને સત્તાવાર રીતે ટીમ ઈન્ડિયાની જર્સી પણ મળી ગઈ છે. આ ક્ષણ તેના માટે એટલી ખાસ હતી કે જર્સી હાથમાં લેતા જ તેની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વૈભવ સૂર્યવંશીને તેની પ્રથમ ભારતીય જર્સી આપવામાં આવતી જોવા મળે છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફના સભ્ય રઘુ તેના હોટલ રૂમમાં પહોંચે છે અને તેને જર્સીનો બોક્સ આપે છે. બોક્સ ખોલતાની સાથે જ વૈભવના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. તે વારંવાર જર્સીને નિહાળે છે અને જાણે પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શકતો હોય તેવી લાગણી વ્યક્ત કરે છે.

આ વીડિયોમાં એક વધુ મહત્વની વાત સામે આવી છે. વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા માટે નંબર 3ની જર્સી પહેરીને રમશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ નંબર ખાસ માનવામાં આવે છે, કારણ કે ભારતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ નંબર સાથે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, સ્પિનર હરભજન સિંહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા જાણીતા ખેલાડીઓએ પણ નંબર 3ની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. વૈભવે નંબર 3 પસંદ કરવા પાછળ પણ એક રસપ્રદ કારણ છે. તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં તે નંબર 12ની જર્સી પહેરતો હતો. જોકે, તેની માતાએ તેને જર્સી નંબર બદલવાની સલાહ આપી હતી. તેમની માન્યતા હતી કે 12ના બંને અંકોનો સરવાળો 3 થાય છે. જ્યારે મૂળ આંકડો 3 જ બને છે તો સીધો નંબર 3 પસંદ કરવો વધુ યોગ્ય રહેશે. વૈભવે પોતાની માતાની સલાહને મહત્વ આપ્યું અને ત્યારથી નંબર 3ને પોતાની ઓળખ બનાવી લીધી. આજે એ જ નંબર તેને ભારતીય ટીમ સુધી લઈ આવ્યો છે. ઘણા લોકો માટે જર્સી નંબર માત્ર એક આંકડો હોઈ શકે, પરંતુ ખેલાડીઓ માટે તે તેમની ઓળખ, વિશ્વાસ અને લાગણીઓ સાથે જોડાયેલો હોય છે. વૈભવ માટે પણ નંબર 3 હવે ખાસ બની ગયો છે.

ભારતીય જર્સી મેળવ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “જે સપના માટે મેં પહેલી વખત બેટ હાથમાં લીધો હતો, તે સપનું આજે પૂરું થયું છે. આ ક્ષણને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવી એ દરેક યુવા ક્રિકેટરનું સપનું હોય છે. જ્યારે મેં આ જર્સી જોઈ ત્યારે હું એટલો ખુશ થઈ ગયો કે બીજું કંઈ વિચાર જ ન શક્યો. ક્યારેક જીવનમાં એવી વસ્તુઓ થાય છે જેની આપણે કલ્પના પણ નથી કરતા અને આજે મારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે.” વૈભવના આ શબ્દો તેની મહેનત અને સંઘર્ષની કહાની કહી જાય છે. નાની ઉંમરે જ તેણે દેશભરમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. તેની બેટિંગ શૈલી, આત્મવિશ્વાસ અને દબાણમાં રમવાની ક્ષમતાએ ક્રિકેટ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. હવે સૌની નજર તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પર રહેશે. ભારતીય ટીમ આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે. 23 જૂન એટલે કે આજ રોજ ટીમની પ્રથમ બેચ ચેન્નાઈથી આયર્લેન્ડ માટે નીકળી હતી. આ ગ્રુપમાં સંજુ સેમસન, અક્ષર પટેલ અને અભિષેક શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે. વૈભવ પણ આ જ પ્રવાસનો ભાગ છે.

ખાસ વાત એ છે કે BCCIએ વૈભવની ઉંમર અને તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 15 વર્ષના આ યુવા ખેલાડીની સારી સંભાળ રાખી શકાય અને તે કોઈપણ પ્રકારના દબાણ વિના પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તેના માતા-પિતાને પણ તેની સાથે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ યુવા ખેલાડીઓના વિકાસ અને માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વ આપી રહ્યું છે. હવે ક્રિકેટ ચાહકો આતુરતાથી 26 જૂનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે વૈભવ સૂર્યવંશી પ્રથમ વખત ભારતની જર્સીમાં મેદાન પર જોવા મળી શકે છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે, તો તે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે રમનારા ખેલાડીઓમાં સ્થાન મેળવી શકે છે. વૈભવ માટે આ માત્ર એક શરૂઆત છે. તેના ખભા પર હવે કરોડો ભારતીયોની આશાઓ છે. પરંતુ જે આત્મવિશ્વાસ અને પરિપક્વતા તેણે અત્યાર સુધી બતાવી છે, તેને જોતા એવું લાગે છે કે ભારતીય ક્રિકેટને ભવિષ્ય માટે એક વધુ મોટો સ્ટાર મળી ગયો છે.

To Top