સુરત: સુરત મનપાની ચુંટણી 2026ના પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપે અનેક રેકોર્ડ કર્યા છે. 115 બેઠક પર વિજયની સિદ્ધિ હાંસલ થઇ છે. જો કે તેનાથી મોટી સિદ્ધિ ભાજપ માટે એ છે કે, છેલ્લા 10 વર્ષથી એટલે કે 2015થી જ્યાં ભાજપનો પગ નહોતો મુકાતો તે વરાછા, મોટા વરાછા, સીમાડા વગેરે વિસ્તારોમાં ધમાકેદાર કમબેક કર્યુ છે. આ વિસ્તારો 2012 સુધી ભાજપ માટે મજબૂત ગઢ હતો. મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન સુધીના નેતાઓની સભાઓ વરાછાના વિસ્તારોમાં થતી હતી. પરંતુ 2015માં મનપાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને કારણે ભાજપનો આ કિલ્લો ઢળી પડ્યો હતો અને ત્યાર બાદ 2021ની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારો આમ આદમી તરફ વળતા ભાજપની મુશ્કેલી વધી હતી. જો કે 10 વર્ષની સતત મહેનત બાદ આ વખતે વિપક્ષનો સફાયો કરી 4 બેઠક બાદ કરતાં તમામ બેઠકો જીતીને ભાજપે પોતાનો ગઢ ફરીથી કબજે કરવામાં સફળ રહેતા ભાજપના સ્થાનિક અને પ્રદેશ નેતાઓએ હાશકારો અનુભવ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના પુત્રની હાર બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી
વોર્ડ નંબર 19માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજય થતાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલ વાલાના પુત્રની હાર થતાં તેમણે પ્રતિક્રિયા આપી હતી કે વોર્ડ નંબર 19 અને સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો બીજેપી કરતાં પીજેપી (પોલીસ જનતા પાર્ટી) ની સામે વધુ લડ્યા અને એનું પરિણામ છે કે પીજેપીએ જે ભાજપની સક્રિય ભૂમિકા ભજવી એના પરિણામ જે સામે છે. લોક ચુકાદો આપણે ગણીએ કે પીજેપીનો શ્રેય ગણીએ. હું જીતનારાઓને અભિનંદન આપું છું અને અપેક્ષા રાખું છું કે એ જીત્યા પછી કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સર્વધર્મ સમભાવ અને માનવતાના ધોરણે લોકોના પ્રાથમિક સુવિધાઓના કામો અને અન્ય કામો કરશે. જોકે ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષે ધક્કામુક્કી અને ઝપાઝપી થઇ હતી. જોકે આ સમયે વાતાવરણ તંગ બની જતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે બન્ને પક્ષને છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો.
વિજયના ઉન્માદમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા, કોંગ્રેસના ઉમેદવારના વાળ ખેંચી માર માર્યો
ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે વોર્ડ નંબર 18ની મતગણતરી પૂર્ણ થતાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત વિજેતા જાહેર થતાંની સાથે જ કેન્દ્રની બહાર ગરમાવો વધી ગયો હતો. વિજયના ઉત્સાહમાં ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દર્જાવતના સમર્થકો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગયા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો એટલો બિચક્યો હતો કે એકબીજાના વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત, મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને ગૌતમ રાજપુત (કેસરિયા) સાથે બેથી ત્રણ કાર્યકર્તાઓએ હુમલો કરી તેમને વાળ પકડીને બેરહેમીથી માર માર્યો છે. જેના કારણે મતગણતરી કેન્દ્રની બહાર પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ભારે અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. ખુમાનસિંહએ ચીમકી આપી હતી કે પરવટ પાટિયા પર આની અસર થશે અને હવે ઘર્ષણ પણ થશે.
વોર્ડ નં.12માં કોંગ્રેસનું માંડ માંડ ખાતું ખુલ્યું, ભાજપની પેનલ તૂટી
સુરત મનપાના વોર્ડ નં ૧૨ (મુગલીસરા-સૈયદપુરા-કુબેરનગર)માંથી કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલા જીતી જતા ભાજપની પેનલ તૂટી હતી. કોંગ્રેસના ઉમેદવાર કરતાં ભાજપના ઉમેદવારને માત્ર ૬૩૨ મત ઓછા મળતા સુરત મનપામાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યું હતું. વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સુરત મનપાની ચૂંટણીમાં આપનું ઝાડૂં ફરી વળતા કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોને પણ ઘરમાં બેસવાનો વારો આવ્યો છે. મનપાના ભૂતપૂર્વ વિપક્ષ નેતા પ્રફુલ્લ તોગડીયા, દિનેશ કાછડીયા અને સતત ૭ ટર્મથી ચૂંટાઈને આવતા સિનિયર કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસને ઝીરો બેઠક મળતા કોંગ્રેસ હાસિયામાં ધકેલાઇ ગઇ હતી. વર્ષ ૨૦૨૬ની ચુંટણીમાં પણ કોગ્રેસનો કોઇ સારો દેખાવ જોવા મળ્યો નહોતો. દરમિયાન મનપાના વોર્ડ નં ૧૨ (મુગલીસરા-સૈયદપુરા-કુબેરનગર)માંથી કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલા જીત થતાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યું છે.
પ્રાપ્ત માહીતી અનુસાર વોર્ડ નં ૧૨ની એક સામાન્ય બેઠક પરથી ભાજપે ચિરાગ પટેલ (સાવલીયા), કોંગ્રેસે ભુપેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ફિરોઝ મલેકને ટિકિટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતાં આ વોર્ડની સામાન્ય બેઠક પરથી આપ અને ભાજપ વચ્ચે જંગ જામી હતી. દરમિયાન કોંગ્રેસના કમિટેડ વોટનું વિભાજપ આપ અને કોંગ્રેસ વચ્ચે થયું હોય ભાજપના ઉમેદવારને ઓછા મત મળતા ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલની માત્ર ૬૩૨ મતોથી હાર થઇ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.
હવે મનપામાં કોઇ સત્તાવાર રીતે વિપક્ષ નહીં: 1995 થી 2000 દરમિયાન મનપામાં વિપક્ષી નેતા નહોતા
પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહીં પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં. અગાઉ વર્ષ 1995ની ચૂંટણીમાં ભાજપ 99માંથી 98 બેઠક જીત્યુ હતું અને એક બેઠક વિપક્ષ જીત્યો હતો. જો કે ત્યાર બાદ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવાર જીતી આવ્યા હતા પરંતુ નિયમ અનુસરા પૂરતી સંખ્યા નહીં હોવાથી 1995 થી 2000 દરમિયાન સુરત મનપા વિપક્ષી નેતા મુકત રહી હતી.
ભાજપના કાર્યકરો જીતના ઉન્માદમાં બેકાબૂ બન્યા, હરિફ ઉમેદવારોને પાછલા દરવાજે કાઢવા પડ્યા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120 બેઠકમાંથી 115 બેઠકો પર ભવ્ય વિજય મેળવતા જ ભાજપના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉન્માદ અને જોરદાર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. મતગણતરી કેન્દ્રની બહાર ઢોલ-નગારા, ફટાકડા અને વિજયી નારાઓ વચ્ચે ઉત્સાહમાં આવી ગયેલા કેટલાક કાર્યકરો રાજકીય ખેલદિલી ભૂલીને પરાજિત ઉમેદવારો સામે આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. સ્થિતિ એવી ગંભીર બની હતી કે મુખ્ય પ્રવેશદ્વાર પરથી પસાર થઈ રહેલા વિપક્ષી ઉમેદવારો સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન કોંગ્રેસના બે ઉમેદવાર સાથે ટપલીદાવ જેવી ઘટના બનતા મામલો ગરમાયો હતો. ભાજપના કાર્યકરોનો આ અતિ-ઉત્સાહ તંગદિલીમાં ન ફેરવાય તે માટે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ભાજપના વિજયી ઉમેદવારોને સન્માનભેર મુખ્ય દરવાજેથી બહાર લાવવામાં આવ્યા હતા, જ્યારે સુરક્ષાના કારણોસર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પરાજિત ઉમેદવારોને ભીડનો ભોગ બનતા બચાવવા માટે મતગણતરી કેન્દ્રના પાછળના દરવાજેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મતદાન મથક પરિસરમાં જ જે રીતે કોંગ્રેસી ઉમેદવારો સાથે ટપલીદાવ થયો અને ત્યારબાદ જે રીતે ‘આગળના દરવાજેથી વિજેતા અને પાછળના દરવાજેથી વિપક્ષ’ જેવી સ્થિતિ સર્જાઈ, તે દ્રશ્યો આખા દિવસ દરમિયાન સુરત શહેરમાં ચર્ચા અને કુતૂહલનો વિષય બન્યા હતા.