Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

ભારત ડાયમંડ બુર્સ પહોંચીને કહ્યું- બંને દેશોના હીરા ઉદ્યોગનો સંબંધ અતૂટ

ભારત અને બેલ્જિયમ વચ્ચે સદીઓ જૂના હીરા વેપારના સંબંધોને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે 4 સપ્ટેમ્બરે મુંબઈ સ્થિત ‘ભારત ડાયમંડ બુર્સ (BDB)’ની મુલાકાત લીધી હતી. આ વિશ્વના સૌથી મોટા કાર્યરત હીરા વેપાર કેન્દ્રોમાંનું એક છે. બેલ્જિયમના વડાપ્રધાનની BDBની આ પ્રથમ મુલાકાત હોવાનું જણાવાયું છે. તેમણે ભારત અને બેલ્જિયમ વચ્ચેના હીરા ઉદ્યોગના ઐતિહાસિક સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

બાર્ટ ડી વેવરની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે ભારત-ઈયુ વેપાર કરારથી બંને પક્ષો વચ્ચે વેપાર માટે નવી તકો ઊભી થઈ શકે છે. ખાસ કરીને હીરા અને જ્વેલરી ક્ષેત્રને સરળ પ્રક્રિયા, ઘટાડેલા ખર્ચ અને ડ્યૂટીમાં રાહતનો લાભ મળી શકે છે.ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનૂપ મહેતાએ ભારત અને બેલ્જિયમના હીરા ઉદ્યોગ વચ્ચેના ગાઢ સંબંધો અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સહિત ભારતના અનેક હીરા વેપારીઓએ એન્ટવર્પને પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે. બેલ્જિયમનું એન્ટવર્પ શહેર સદીઓથી વૈશ્વિક હીરા વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે અને ત્યાંથી મળેલા અનુભવ તથા વ્યવસાયિક જોડાણોએ મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સના વિકાસને પણ પ્રભાવિત કર્યો છે.


મુલાકાત દરમિયાન ઉદ્યોગના ભવિષ્ય અંગે પણ ચર્ચા થઈ હતી. BDBના પ્રમુખ અનૂપ મહેતાએ કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને હીરા ઉદ્યોગે પણ આ પરિવર્તન પ્રમાણે પોતાને તૈયાર કરવો પડશે. ભારત અને બેલ્જિયમ વચ્ચેની ભાગીદારીનો હેતુ એવો હીરા વેપાર વિકસાવવાનો હોવો જોઈએ જે માત્ર નફાકારક જ નહીં પરંતુ પારદર્શક, ન્યાયસંગત અને ટકાઉ પણ હોય.GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત અને બેલ્જિયમ વચ્ચેનો જેમ્સ તથા જ્વેલરી વેપાર વર્ષ 2025-26 દરમિયાન આશરે 3.5 બિલિયન અમેરિકન ડોલરનો રહ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં પોલિશ કરવામાં આવતા લાખો હીરા એન્ટવર્પ મારફતે વૈશ્વિક બજારો સુધી પહોંચે છે. આ વેપાર માત્ર આંકડાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતના લાખો પરિવારોની આજીવિકા સાથે જોડાયેલો છે. હીરા ઉદ્યોગ દ્વારા સીધી અને પરોક્ષ રીતે 50 લાખથી વધુ રોજગારીને સહારો મળતો હોવાનું પણ જણાવાયું હતું.


બેલ્જિયમના વડાપ્રધાને ભારત અને એન્ટવર્પ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત હીરા ઉદ્યોગનું પ્રાચીન કેન્દ્ર રહ્યું છે, જ્યારે એન્ટવર્પે 15મી સદીથી હીરાના વેપાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બંને દેશોના આ લાંબા સંબંધોને તેમણે વધુ મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.ભારત-ઈયુ FTA અંગે બાર્ટ ડી વેવરે કહ્યું કે કરારથી વેપાર ખર્ચમાં ઘટાડો, ડ્યૂટીમાં રાહત, પ્રક્રિયાઓ સરળ બનવા અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન મળી શકે છે. આ ફેરફારો ભારત અને બેલ્જિયમ વચ્ચે હીરા તથા જ્વેલરીના વેપારને વધુ વેગ આપી શકે છે.બેલ્જિયમના વડાપ્રધાને પ્રાચીન ગ્રીક શબ્દ ‘Adamas’, જેનો અર્થ ‘અતૂટ’ થાય છે, તેનો ઉલ્લેખ કરીને ભારત-બેલ્જિયમના સંબંધોને પણ અતૂટ ગણાવ્યા હતા. તેમની ભારત ડાયમંડ બુર્સની મુલાકાતે બંને દેશોના હીરા ઉદ્યોગ વચ્ચેના ઐતિહાસિક અને વ્યાવસાયિક સંબંધોને નવી ઓળખ આપી છે.

To Top